બરકત નો પૈસો

બરકત💰 ,
નવલભાઈ શાહ

મહેશ બી.કોમ થઈ ગયો તેની ખુશાલી ઘરમાં સૌનાં મોં પર રમતી હતી. મહેશના મનમાં હતું કે હવે શહેરમાં સારી નોકરી મળી જશે; બૅન્કમાં નહિ તો સારી ખાનગી પેઢીમાં. તેને તેના વિષયના જ્ઞાન માટે ગૌરવ હતું. તે આખી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં (economics) સૌથી વધારે ગુણ મેળવી ઉત્તીર્ણ થયો હતો. મહેશના પિતા કાપડના વેપારી હતા. જીનમાં પણ ભાગીદારી હતી. પૈસેટકે સુખી હતા. મહેશ મોહનલાલ શેઠનો એકનો-એક દીકરો હતો, તેમની એવી ઈચ્છા કે મહેશ વેપારનું ભણ્યો છે તો ઘરનો ધંધો વિકસાવે. એ ભાવથી મોહનલાલ મહેશને વેકેશનમાં દુકાને લઈ જતા.

કાપડની જાતો અને ભાવ કેમ કરવો તે પણ સમજાવતા. આવેલ છાપા પર નજર ફેરવી રહ્યો હતો, ત્યાં એક ઘોડાગાડી આવીને ઊભી રહી.
મહેશનું ધ્યાન એ સુંદર શણગારેલી ગાડી ને રુઆબદાર ઘોડામાં રોકાયેલું હતું, ત્યાં જ એને કાને શબ્દ પડ્યો :
‘શેઠ, લ્યો આ વ્યાજ….’
મહેશે બાજુ પર જોયું. આવનારે મોહનલાલના હાથમાં એક પડીકું મૂકયું હતું. ‘વ્યાજ !’ મહેશ ચોંકી ઊઠ્યો.
શેઠ, આ કોણ ? તમારો મહેશ તો નહિ ? ઘણો મોટો થઈ ગયો….’
‘હા, બી.કોમ થઈ ગયો.’
‘ભાઈ, મોરનાં ઈંડાને ચીતરવાં ન પડે. વાણિયાના દીકરા ભણવામાં પાછા ન પડે. ’ મુસાભાઈ સ્ફૂર્તિથી નીચે ઊતર્યા. ઘોડાગાડીમાં બેસતાં જ લગામ હાથમાં લીધી. ઘોડા પણ જાણે માલિકનો હાથ પારખી ન ગયા હોય એમ હણહણી ઊઠ્યા. આખું બજાર ઘોડા, ગાડી અને હાંકનાર મુસા શેઠનો રુઆબ જોઈ જ રહ્યું.

મહેશના મનમાં એક જ વિચાર ઘોળાતો હતો. આટલો સુખી માણસ પણ વ્યાજ ભરે ! મોહનલાલ મહેશના મનની મૂંઝવણ કળી ગયા હોય તેમ કહ્યું :
‘મહેશ, આ મુસા શેઠ અને આપણે ત્રણ પેઢીનો નાતો છે. એનો પણ ઈતિહાસ છે. આપણું મૂળ વતન ચાંચવેલ. લગભગ બધી વસ્તી મુસલમાનોની. આપણું એકલું જ વેપારીનું ઘર. ખેતીની સાથે થોડી ધીરધાર પણ કરીએ. મુસાના દાદાનું નામ કરીમ. આમ ગરીબ પણ ખૂબ ખાનદાન અને નેક. સુખી ખેડૂતને ત્યાં સાથી તરીકે રહે. એટલી પ્રમાણિકતાથી મજૂરી કરે કે કરીમને સાથી રાખવા પડાપડી થાય.

કરીમે મહેનત કરી સાદું જીવન જીવી થોડા પૈસા બચાવ્યા. એક દિવસ આપણા દાદા પાસે આવી કહે : ‘શેઠ, આખી જિંદગી પારકા ખેતરમાં મે’નત કરી છે. મારી પાસે થોડા રૂપિયા છે. થોડા તમે ધીરો તો એક ખેતર મળે એમ છે. વ્યાજ જે લેવું હોય તે લેજો પણ આટલો ખપ કાઢો.’ દાદા આમ સ્વભાવે ભલા. કોઈનું કામ હોય તો કાઢે. 
‘કરીમ, તું પહેલી વાર આવ્યો છે. પૈસા તો આપીશ…’
‘શેઠ, વ્યાજ જોઈએ તે લેજો… ખુદાને દેવું હશે તો ખૂણામાં ઢગલો દઈ દેશે.’ કરીમે કહ્યું.
‘જો કરીમ, નવ ટકાથી વધારે વ્યાજ લઈએ તો ભગવાન પૂછે. માંદેસાજે પાંચ-પચ્ચીસ લઈ જાય તો તેનું વ્યાજ ના હોય. પણ ધંધો કરવા લઈ જાય ત્યારે તો વહેવારે જે લેવાતું હોય તે જ લેવાય. આ વ્યાજનો પૈસો તો કાચો પારો. કોઈનો નિસાસાનો પૈસો આવે તો આપણને ખેદાનમેદાન કરી નાખે.’

ખેતરમાં પહેલે જ વરસે એટલું પાક્યું કે આખું ગામ બોલી ઊઠ્યું : ‘આ કરીમમિયાં છે નસીબદાર. આ ખેતરમાં કોઈ દી ઘઉંની બે ઝાલ નીકળી નથી. મિયાંને સો મણ ઘઉં પાકશે. ખુદાને દેવું હોય તો પથ્થર ફાડીને પણ આપે…..’ તો બીજાએ કહ્યું : ‘એના જેટલો પ્રમાણિક સાથી તો બતાવો ગામમાં બીજો. ભાઈ, ખુદાને ઘેર પણ ન્યાય છે.’ ખળામાંથી ઘઉંનાં ગાડાં સીધાં આપણે ઘેર આવ્યાં. ત્યારે ઘઉંનો ભાવ મણનો રૂપિયો સવા રૂપિયો. દાદાએ વ્યાજના પૈસા ગણ્યા, મૂળ રકમ ઉમેરી. અને બાકીના પાછા આપ્યા : ‘કરીમ, ઘઉં જોઈએ તો ઘઉં ને પૈસા જોઈએ તો પૈસા લઈ જા.’
‘શેઠ ! હમણાં તમારી પાસે જ રાખો. પણ તમારે મારું ખાતું ઊભું રાખવાનું છે. જિંદગીમાં પહેલી વાર શેઠ કર્યા છે.’
‘કરીમ, તું માગીશ તેટલા આપીશ.’
‘બધુંય સમજું છું. ખેતર ખરીદવા તમે જે રૂપિયા આપ્યા છે તે મારે ત્યાં રહેશે. ઘઉંના મારા પૈસા ભલે તમારે ત્યાં પડ્યા.’ કરીમે કહ્યું. જે પૈસા બચ્યા તેમાંથી બીજે વરસે બીજું ખેતર ખરીદ્યું અને સાત વરસમાં તો તે
વરસેમજૂરમાંથી ખેડૂત થઈ ગયો. એક સાંતીની જમીન; બે બળદ; ઘરનું ગાડું…. ઘર પણ સારાં કર્યાં. કરીમ માંદો પડ્યો. મૃત્યુ નજીક દેખાયું. તેનો દીકરો અનવર અને તેની પત્ની ખાટલા પાસે જ ઊભાં હતાં.
‘બેટા, શેઠને બોલાવ.’
અનવર દોડ્યો. શેઠ આવ્યા. ‘કરીમમિયાં તમે તો ખુદાને ઘેર જવાના. જિંદગીમાં કશું ખોટું કર્યું નથી. બાવડાંને બળે જીવી દીકરા માટે ખેતર મૂકતા જાવ છો…. હવે શાની ચિંતા ?’
‘શેઠ ! તમારા જેવા માથે શેઠ છે, પછી મને શી ચિંતા. આ અનવરને તમારો દીકરો જ માનજો. જો બેટા ! આજે આપણે જે કંઈ છીએ તે આ શેઠનાં બરકતવાળાં નાણાંનો પરતાપ. પૂછા આ તારી દાદીને. શેઠનાં નાણાં આવ્યાં ને દી ફર્યો. જો બેટા ! શેઠને ચોપડે ખાતું બંધ ન કરતો. દર અખાતરીએ સવાશેર ચોખ્ખા ઘીની સુખડી અને વ્યાજ આપ્યા પછી જ સાંતી જોડજે.’

આપણે તો મહેશ, વતન છોડી અહીં શહેરમાં આવ્યા, પણ મુસાશેઠ સાથેનો સંબંધ ઘર જેવો જ રહ્યો છે. પ્રસંગે એમને ત્યાં જઈએ ત્યારે પૂરા ભાવથી બ્રાહ્મણને બોલાવી રસોઈ કરાવે. મુસાની વહુ પણ એવી. એને હું ભાભી કહું… આ મુસો અનવરનો દીકરો. હવે તો એ લક્ષાધિપતિ થઈ ગયો છે. રૂના આપણા વેપારમાં પચીસ હજાર તો કાયમના જમાજ છે, પણ જ્યારે જોઈએ ત્યારે જોઈએ એટલા મોકલી આપે. કહે :
‘શેઠ, અહીં પડ્યા જ રહ્યા છે ને… આ બધું તમારું જ છે ને…’
‘પણ આટલી રકમ જમા હોય તો પછી આ વ્યાજ શા માટે…..’ મહેશે પૂછ્યું.
‘મને પણ એવો જ પ્રશ્ન થયેલો. એક દિવસ હું તેમને ત્યાં ગયો. જમ્યો. રાતે વાત કરતાં મેં પૂછ્યું
‘મુસાભાઈ, હવે આ વ્યાજ ભરવાની શી જરૂર છે ?’
ત્યાં તો મુસાની વહુ બોલી ઊઠી : ‘મોહનશેઠ, આજે તો આ વેણ કાઢ્યું તે કાઢ્યું. પણ હવે ફરીથી ન કાઢશો… દાદા કહેતા ગયાં છે કે આ શેઠના રૂપિયાને ચાંદીના રૂપિયા ન ગણશો. એ તો બરકત છે. એ રૂપિયા તમારા દાદાએ એટલા ભાવથી આપ્યા કે ઉભડ મજૂરમાંથી અમે ખેડૂત થયા. જુઓ શેઠ ! આ રૂપિયાનો કે વ્યાજનો પ્રશ્ન નથી. તમારા ચોપડેથી જે દિવસે કરીમમિયાંનું ખાતું નીકળી જશે તે દિવસે ઘરમાંથી બરકત જશે…’ બોલતાં બોલતાં ભાભીની આંખ ભીની થઈ.

‘મહેશ, આ તને નહિ સમજાય. ત્યારથી હું એ વાત જ નથી કરતો. મુસાને મન આ રૂપિયા નથી. એક દિવસ મુસાએ જ કહ્યું : ‘મોહન શેઠ, રૂપિયા ધીરનાર તો હજાર મળે, પણ બરકતવાળો પૈસો છે ક્યાં ?’ આ વાત કરતાં મોહનલાલ અને મહેશ બંનેની આંખ ભીની થઈ. અર્થશાસ્ત્રમાં તેણે સૌથી વધારે ગુણ મેળવ્યા હતા. કોઈ પુસ્તકમાં આ વાત આવી નો’તી. તે તો એટલું જ સમજતો હતો કે જેનાથી બીજી કોઈ પણ વસ્તુ ખરીદી શકાય તે નાણું. પૈસાને ફરતો રાખો, કમાવ અને ખર્ચો…. ભોગવો એનું નામ વિકાસ.

સમય જતાં મહેશ મોટો થયો. તે આગળ ભણ્યો. પરદેશ જઈને અર્થશાસ્ત્રની ઊંચી ડિગ્રી મેળવી પાછો આવ્યો. તેને રસ હતો અર્થશાસ્ત્રના શિક્ષણમાં. શહેરની એક ઘણી સારી ગણાતી કૉલેજમાં તે પ્રિન્સિપાલ થયો. વર્ષ પૂરું થયું. છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ગોઠવાયો. વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો કહ્યાં. છેલ્લે પ્રિન્સિપાલ મહેશ ઊભા થયા :
‘તમે ચાર વર્ષ સુધી આ કૉલેજમાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો ભણ્યા. હું નાણાંને એક શક્તિ માનું છું. જગતના અર્થશાસ્ત્રીઓ પણ એમ જ માને છે. નાણાં જડ છે. એને બુદ્ધિપૂર્વક રોકી અનેકગણા કરી શકાય છે, પણ મારા બાપુની કાપડની દુકાને એક વાત સમજાઈ. મારા હૃદયમાં સોંસરી ઊતરી ગઈ.’ મહેશે મુસાની વાત કરી. એકાગ્ર ચિત્તે સૌ સાંભળી રહ્યા. એ વાત કહેતાં કહેતાં મહેશની આંખ સામે મૃત્યુપથારીએ સૂતેલા કરીમમિયાં આવ્યા. નાણાં પણ બરકતવાળાં હોય છે. એક પૈસો આવે તો કુળ અમે કુટુંબનું ખેદાનમેદાન કરે, જ્યારે બરકતવાળો પૈસો આવે તો કુળ ઉજાળે. અર્થશાસ્ત્રનું ઘણું વાંચ્યું છે; ઘણા યુવાનોને ભણાવ્યું છે. પણ તમે જે કદી સાંભળ્યું નથી; મેં જે કોઈ પુસ્તકમાં વાંચ્યું નથી; તે છે અનુભવ…. નાણાં પણ બરકતવાળાં હોય…

અને છેલ્લે ગળગળે અવાજે કહ્યું : ‘બસ, જીવનમાં જાવ ત્યારે કેટલા પૈસા એકઠા થયા તેનો વિચાર ન કરશો. બરકતવાળા કેટલા આવ્યા  એટલું જ વિચારજો.’