મોટી સત્તા કે સંપતિ મળ્યા પછી એ યાદ રાખવું

📚 એકવખત કોઇ મોટા રાજ્યનો રાજા જંગલમાં શિકાર કરવા માટે નિકળ્યો.

શિકારની શોધમાં એ ખુબ જ આગળ નીકળી ગયો અને રસ્તો ભુલી ગયો. આ ગાઢ જંગલમાં એનો ભેટો એક નવયુવાન ભરવાડ સાથે થયો.

પેલો યુવાન રાજાને પોતાના નેસમાં લઇ ગયો અને પ્રેમથી જમાડ્યા પછી રાજાની સાથે આવીને છેક જંગલની બહાર મુકી ગયો.

રાજા આ ભરવાડ પર ખુબ રાજી થયો. એમણે નક્કી કર્યુ કે મારે આ યુવાનને મારા રાજ્યમાં નોકરી પર રાખવો છે.

યુવાનના માતા-પિતા તો ખુબ ખુશ થયા.

ભરવાડ રાજાને ત્યાં નોકરીએ રહી ગયો.

રાજા તેના પર વિશ્વાસ રાખીને જુદા-જુદા કામો સોંપતો જાય અને યુવાન પુરી નિષ્ઠાથી એ કામો કરતો જાય.

બહુ થોડા જ સમયમાં આ યુવાન રાજાનો સૌથી માનિતો પ્રધાન થઇ ગયો આથી બાકીના દરબારીઓ આ યુવાનની ઇર્ષા કરવા લાગ્યા.

યુવાન આખો દિવસ શું કરે છે એ બરાબર ધ્યાનથી જોવા લાગ્યા.

આ નિરિક્ષણ વખતે એક બાબત ધ્યાનમાં આવી કે યુવાન રોજ નગરની બહાર આવેલી એક અવાવરુ ઓરડીમાં એકલો જાય છે અને અડધો કલાક આ ઓરડીમાં રહે છે.

દરબારીઓએ રાજાને આ બાબતે ફરીયાદ કરી.

રાજા એ યુવાન અને બધા દરબારીઓને સાથે લઇને પેલી ઓરડી પર તપાસ કરવા માટે ગયા.

બધાને એમ હતું કે યુવાન આ ઓરડીમાં કોઇ સંપતિ ભેગી કરીને સંતાડતો હશે.

ઓરડી ખોલી તો આખી ખાલી હતી એક ખુણામાં માણસના કદનો એક અરિસો હતો એ સિવાય કંઇજ નહી.

બધા દરબારીઓ ભોંઠા પડી ગયા.

એક દરબારીનું ધ્યાન ગયુ કે અરિસાની પાછળ એક પોટલીમાં કંઇક સંતાડેલું છે.

એ પોટલી બહાર કાઢી એટલે ભરવાડે તે ન ખોલવા રાજાને વિનંતિ કરી પણ રાજાએ બધાની હાજરીમાં એ પોટલી ખોલી તો એમાંથી ભરવાડના જુના કપડા નિકળ્યા.

રાજાએ આ વિષે યુવાનને પુછ્યુ ત્યારે યુવાને સ્પષ્ટતા કરતા કહ્યુ , " રાજાજી આ બધા જ દરબારીઓની વાત સાચી છે હું રોજ આ ઓરડીમાં આવું છું અને પછી આ પ્રધાનના કપડા કાઢીને ભરવાડના કપડા પહેરુ છુ અને પછી અરીસામાં જોઇને મારી જાત સાથે વાત કરુ છું કે તું મૂળભુત રીતે તો આ અરિસામાં દેખાય છે તે ભરવાડ જ છે આ તો માત્ર રાજાની કૃપાથી તું પ્રધાન બન્યો છે અને તું ત્યાં સુધી જ પ્રધાન છે જ્યાં સુધી રાજા ખુશ છે જ્યારે રાજા રુઠશે ત્યારે ફરી ભરવાડ જ થઇ જવાનો છે માટે સત્તાના નશામાં તું તારી જાતને ભુલી ન જતો."

મિત્રો,... આપણે જ્યાં છીએ એ આપણી મહેનત અને ભગવાનની કૃપાને કારણે છીએ.

મોટી સત્તા કે સંપતિ મળ્યા પછી એ યાદ રાખવું કે भगवान આ બધુ પાછુ પણ લઇ શકે છે. સત્તા અને સંપતિના નશામાં માણસાઇ ભૂલાઇ ન જાય એ માટે સજાગ રહેવું.
🌺जय स्वामीनारायण🌺